બલદેવપરી બ્લોગ: પ્રાર્થના એટલે શું ??? ....

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Friday 10 August 2012

પ્રાર્થના એટલે શું ??? ....


 પ્રાર્થના એટલે શું ??? ....



 


કોઈ  માંગણીભજનકે ચોક્કસ શબ્દો નું ઉચ્ચારણ કે પછી કોઈક ખાસ સ્થળેખાસ મુદ્રા માં બેસી કરવામાં આવતી કોઈક વિધિ ?


મારા મતે તો આમાંથી એકે ય નહિ પણ પ્રાર્થના એટલે પરમાત્મા નું ચિંતનઠાલા શબ્દોનું રટણ નહિ. શબ્દરહિત પ્રાર્થના પણ સંભવી શકેજ્યાં હોઠ મૂક હોય ને દિલ ને વાચા ફૂટી હોય તેય પ્રાર્થના કહેવાય.  આધ્યાત્મિક કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે ને કે, “ હું સંકટો થી બચવા નહિ પરંતુ સંકટોનો સામનો નિર્ભયતાથી કરી શકું એટલા માટે પ્રાર્થના કરું છું.” અર્થાત પ્રાર્થના પલાયનવાદ માટે નહિ પરંતુ બહાદૂરી ને હિંમત માટે થાય. વ્યક્તિના અંતરતળ માંથી પરમાત્મા સાથે જયારે નીરવ વાર્તાલાપ સર્જાય ત્યારે એક ભાવાત્મક સંવાદ સધાય અને તે વ્યક્તિ ને નિમ્ન માંથી  ઉર્ધ્વ પ્રતિ જવાનું બળ પૂરું પાડે મન ના પ્રત્યેક તાર ને જોડી તે પરમ સાથે તેનું સરસંધાન કરાવે.  પણ એ ત્યારે જ શક્ય બને જયારે પ્રાર્થનાનું સાધ્ય માત્ર દિવ્ય સાથેનું  ઐક્ય હોય અને એવું ઐક્ય ઉર્ધ્વમાંથી શક્તિ ને કૃપા પ્રાપ્તિનો સ્ત્રોત બની રહે છે.  વ્યર્થ કે નિરર્થક શબ્દોનું પુનરાવર્તન પ્રાર્થનાનો પરિવેષ ધરી શકે નહિ.ભાવવિહીન ઠાલા ભજનો કે ધૂનો નું રટણ તો માત્ર બડબડાટ બની રહે.



પ્રાર્થના માટે કોઈ નિયત સ્થળબાહ્ય દંભ કે દેખાડા ની આવશ્યકતા હોતી નથી. કોઈક શાંત એકાંતે કશાય  દેખાડા વિના પરમતત્વ સાથેની ગુફ્તગુ એટલે. પ્રાર્થના ના  સ્વર ને બૂલંદ  કરવા કોઈ બાહ્ય ઉપકરણો ની જરૂર હોતી નથી.  કારણ સૂક્ષ્મ થી સૂક્ષ્મ સ્વર   સાંભળવા  ઈશ્વર સમર્થ છે. સંત કબીરે આ વાત ને સચોટ રીતે સમર્થન આપ્યું  છે, “ चींटी के पांव में जांजर बाजे  वो भी अल्लाह सुनता हे ! ”  સાવ નાનકડી કીડી તેનો વળી પગ કેટલો અને એમાં પહેરેલું ઝાંઝર, અને એનો રણકાર જો ઈશ્વર સાંભળી શકતો હોય તો આટલા મોટા આપણાં દિલમાં સ્ફૂરતા શબ્દો તેને સંભળાવવા ઢોલ, નગારા કે લાઉડ -સ્પીકર ની જરૂર જ શી છે?



પ્રાર્થનાનો ગાઢ સંબંધ તો મૌન સાથે રહેલો  છે. વ્યક્તિનું બાહ્ય તન કોઈપણ કાર્ય  માં વ્યસ્ત હોય પણ તેનું ભીતર પ્રાર્થના માં રત રહેવું જોઈએ.  કામકાજ કે જવાબદારીઓ છોડી ઈશ્વરની પ્રતિમા સમક્ષ કલાકો આરાધના કરવા કરતાં કાર્યરત રહી દિલ થી તેના સ્મરણ માં ડૂબી રહેવું શ્રેષ્ઠ ગણાય. ગ્રીસ ના મહાન તત્વચિંતક સોક્રેટીસે કહેલું કે, “પ્રાર્થના ને તમે તમારાં મનોસંકલ્પો સાધવાનો ઉપાય સમજી બેઠા હો તો, તમારું પ્રાર્થના નું મૂલ્યાંકન નિમ્ન કક્ષાનું જ  ગણાય ”.



પાર્થના માં જો માંગણીઓ ની યાદી રજૂ કરવાની હોય તો એતો આપણું સ્વાર્થ પારાયણ થયું કહેવાય. માંગણી, ઈચ્છાપ્રદર્શન કે ફરિયાદ વિના  ફક્ત નિસ્વાર્થભાવે હરદમ કરાતી  સ્તુતિ  એટલે પ્રાર્થના.  ઈશ્વર કોઈ મહાકાય ડરામણી આકૃતિ નથી કે તેની આગળ ઢળી પડવું પડે. પ્રાર્થના દ્વારા તેની સાથે  તો એક મધુર સંવાદ રચાવો  જોઈએ.  જયારે પરમાત્મા ની પ્રત્યેક યોજના ને  ઈચ્છા સમક્ષ આપણો  આત્મસમર્પણ  ભાવ નીપજે ત્યારે તેવી પ્રાર્થના થકી આપણને શક્તિ, શુદ્ધિ, સામર્થ્ય ને ધ્યેય ની નિશ્ચલતા સાંપડે છે.



રોજીંદી  આરાધના  કે  ભક્તિ જો આપણને સહેજ પણ ઉર્ધ્વગામી બનાવી ના શકે તો તેવી પ્રાર્થના પોકળ અને અર્થહીન બની રહે છે. મહાત્મા ગાંધી પોતાના માનસિક બળ માટે પ્રાર્થના ને જ અસરકારક માધ્યમ ગણે છે. તમામ મહાન વિભૂતિઓ એ એકાંત માં પરમતત્વ સાથે ઐક્ય સાધી ને જ મહાન કર્યો ને અંજામ આપેલો છે. પૃથ્વી ઉપર દેહ ધરેલ કોઈપણ પયગંબર પ્રાર્થના થી પોતાને અલિપ્ત રાખી શક્યા નથી.



આધુનિક વિજ્ઞાને હવે તો સિદ્ધ કર્યું છે કે, પ્રાર્થના માનવશરીર માં હકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે પરિણામે કરોડો નવા સેલ્સ ઘડતર પામે છે જે વ્યક્તિ નું  શારીરિક તેમજ માનસિક સામર્થ્ય વધારી, તેનું શુદ્ધિકરણ કરી નવીન શક્તિનું  સિંચન કરે છે.  રોગગ્રસ્ત વ્યક્તિઓ ઉપર  પ્રાયોગિક ધોરણે સિદ્ધ કરી  વિજ્ઞાને પ્રાર્થના ની અહેમિયત ઉપર મહોર મારી  છે. પણ પ્રાર્થના ને યોગ્ય રીતે અજમાવી, તેનો અમૂલ્ય લાભ ઉઠાવવાનું કામ તો વ્યક્તિએ જાતે જ કરવાનું હોય છે.



પ્રાર્થના ટાણે તથા અવિરતપણે માનવીને એ પ્રતીતિ રહેવી જોઈએ કે પોતાના રોમેરોમ માં જીવંતતા રૂપે વિહરી રહેલ તત્વ ઈશ્વર જ છે.  જે  તેના  મન ના બુદ્ધિદીપક ને પ્રજ્વલિત રાખે છે.  આપણાં અંતકરણ ના ગુપ્ત મંદિરમાં બેઠેલ ઈશ અભડાઈ ન જાય એ માટે  ય આપણાં અંતર ને અસત્ય ને દુર્ભાવોથી અળગું રાખવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ.  આપણાં પ્રત્યેક કાર્ય માં પ્રયેક પળે ઈશ પ્રગટ થતો રહે છે અને આપણી આવડત, આપણું જ્ઞાન  કે આપણાં સત્કર્મો એતેના માંથી વહી આવતો નાનકડો પ્રવાહ છે તેથી જયારે આ સત્ય ની આત્માનુંભુતી થાય ત્યારે આપણો અહંકાર સૂર્ય ના કિરણો થી ઉડી જતા ઝાકળ ની જેમ ઉડી જવો જોઈએ.આપણાંમાં રહેલી કોઈ ખૂબી તેની કૃપા વિના સફળ થતી નથી.  શ્રી કાકા સાહેબ કાલેલકર ના મતે, “ પ્રાર્થના ના વાતાવરણ માં જો આપણે તલ્લીન થઇ શકયા તોહૃદય  માં ભેગા થયેલા અનેક કુસંસ્કારો અને મલીન સંકલ્પો ધીમે ધીમે ઓગળી જાય છે અને શુભ સંકલ્પો મજબૂત અને વિકસિત થતા જાય છે.



માનવીને અનુવંશ થકી જે બાહ્ય દેખાવ પ્રાપ્ત થયો હોય તેમાં  ઝાઝો ફેરફાર કરવા તે સમર્થ હોતો નથી. (અલબત આધૂનિક તબીબી સવલતો કંઈક અંશે મદદ કરી શકે.) પરંતુ પોતાના હૃદયમંદિર ને દિવ્યતા અર્પી તેને, ભવ્યાતિભવ્ય તો  કોઈપણ વ્યક્તિ બનાવી શકે છે.  શ્રી પાંડુરંગ શાસ્ત્રી એ કહ્યું છે ને કે, “માણસનું હૃદય જ્યાં સુધી પરમાત્માનું મંદિર ન બને ત્યાં સુધી બીજા કોઈ મંદિરમાં તેને પરમાત્મા મળી શકે નહિ”  તેથી જ દિલ ના સૌદર્ય બાબતે સતર્ક રહેવું જોઈએ.  અને સોક્રેટીસ ની જેમ એવી પ્રાર્થના કરવી જોઈએ કે,  I pray Thee,  O God, that i may be beautiful within.  બાહ્યસંપદા એકત્ર કરવામાં આંતરસંપદા નો કોઠાર ઉણો  ન રહી જવો જોઈએ.



રોમેરોમ થી અવિરતપણે ઈશ્વર સ્મરણ માં રમમાણ રહી પરમાત્માના સાક્ષાત્કાર સુધી પહોંચી જનાર ભક્ત કવિ નરસિંહ મહેતા, મીરાંબાઈ  કે કબીરજી  જીવનની તમામ  મુશ્કેલીઓ ને પાર કરી શકયા હતા. એક પરમ સત્ય સમજી જતાં બાકી તમામ વસ્તુઓ તેમને ગૌણ અને વ્યર્થ લાગી હતી. માણસો અઢળક સંપતિના માલિક બની જાય, સુંદરતા પણ સાંપડી હોય, માનો  કે દુનિયા ની તમામ સાહ્યબી હાજરાહજૂર હોય તો પણ મન ની શાંતિ પામવા તો પરમપિતા ને શરણે જ જવું પડે છે.  મન નો આરામ કરોડો ની કિંમત ચૂકવતાં એ બજાર માં ઉપલબ્ધ નથી હોતો. વળી સાંપડેલ ધન દૌલત કે દેખાવ ની ક્ષણભંગુરતા સમજી જવાય  ત્યારે, માત્ર ઈશ્વર સ્મરણ જ એક ઉપાય બની રહે છે.  તન-મન ને તાઝગી અર્પી આપણાં માનવ અવતારને ઓજસ અર્પતી નાણાં ખર્ચ્યા વિના મેળવી શકાતી અમૂલ્ય દોલત ને ઓળખી તેમાં એકાકાર થઇ ઈશ્વર ને પ્રાર્થીએ કે,
“હે ઈશ્વર,જીવન ના પ્રત્યેક કદમ પર તું મારો હાથ સાહે બસ એ જ મારી હંમેશ ની કામના બની રહો”.



મારા આયુષ્યના પ્રત્યેક પડાવ ઉપર, મારા જીવનના દરેક સારા માઠા સંજોગોમાંમારા પ્રત્યેક પગલે ને દરેક ધબકારે તું મારી સાથે  જ રહે એટલી જ આશા.

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE