બલદેવપરી બ્લોગ: પ્રેરણાદાયી -‘તને તે મારે કેટલી વાર કહેવું?’

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Thursday 6 February 2014

પ્રેરણાદાયી -‘તને તે મારે કેટલી વાર કહેવું?’

‘તને તે મારે કેટલી વાર કહેવું?’ 

‘તને તે મારે કેટલી વાર કહેવું?’ આ વાક્ય ઘણાં ઘરોમાં સાંભળવામાં આવે છે.
મા કે બાપ બાળકને એક વાર કહે છે, બે વર કહે છે, ત્રણ-ચાર વાર કહે છે, ને જ્યારે બાળક માનતું નથી, ત્યારે માબાપ કહે છે : ‘અરે ! તને તે મારે કેટલી વાર કહેવું ?’
મા કે બાપના ત્રણ-ચાર ભડાકા ખાલી જ જાય, અને પછી જ્યારે કડકાઈથી અને કંટાળાથી બોલે ત્યારે બાળક ઊભું થાય અને જે કરવાનું હોય તે કરે.
માબાપ કે બાળક બેમાંથી એકેય માટે આ સ્થિતિ સારી નથી. માબાપને ત્રાસ થાય છે અને બાળક વધારે નિંભરું બને છે.
આનો ઉપાય થવો જોઈએ. પ્રથમ તો મા કે બાપે હુકમ આપતી વખતે વિચારવું કે અમુક હુકમ કરવા જેવો છે કે નહિ. જો અશક્ય હુકમ હોય તો કરવો જ નહિ, અને પળાય તે માટે વારંવાર કહેવું જ નહિ.
અમલ થઇ શકે તેવો હુકમ હોય તો સમય કે સ્થળ જોઈને તે કરવો. બાળક એવા જ કામમાં કે મનની સ્થિતિમાં હોય કે કહેલું નકામું જશે, તો જરા રાહ જોઈને કહેવું. ઘણીવાર બાળકોને આપણે માટે માટે રાહ જોવી પડે છે, હિરજ કેળવવી પડે છે; એમ જ આપણે પોતે પણ રાહ જોતાં અને ધીરજ કેળવતાં શીખવું જોઈએ.
સામન્યત: આપણે એક જ હુકમે પતાવવું જોઈએ. બે વાર હુકમ કરવો જોઈએ નહિ. એક વારે ન પતે તો વિચારવા બેસવું કે શા માટે એમ બન્યું ?
બાળકોનું તો એવું છે કે જેવું આપણે ચલવીએ તેવું તેઓ પણ ચલાવે. જો બે-ચાર હુકમ પછી જ્યારે આપણે તાડૂકીને બોલીએ ત્યારે જ કામ કરવું એવી ટેવ બાળકોમાં આવી, તો પછી નિરાંતે બાળકો તેટલું તો ચલાવી લે.
આકડા થઈને અને અકળાઈને હુકમ કાઢવા જ નહિ. જે કામ માટે કહેવું હોય તે કામ વિવેકથી કરાવવું, અને બીજા માટી ઉંમરના માણસો પાસેથી જેમ આપણે સરળતાથી કામ લઈએ-દઈએ છીએ તેમ જ નાનાં-બાળકો સાથે વર્તવું.
આપણી પોણી ભૂલ, બાળકો નાનાં છે એટલે માનને પાત્ર નથી એમ મનવામાં રહેલી છે. બાળક વિશેનો ખ્યાલ આપણે કાઢી નાખવો જોઈએ.
વળી જ્યારે બાળકો બે-ચાર હુકમ ન માને તેવી સ્થિતિ આવી લાગે, ત્યારે આપણે તે બાબતની વાત બાળકો સમક્ષ ન કરવી; તેથી તો તેઓ વધારે નઠોર અને રીઢાં થાય છે.
ઘરમાં બે-ચાર જણાં હોય અને એકબીજાનાં મતો એકબીજાંથી જુદા હોય ત્યાં બાળકો બહુ ફાવી જાય છે. જે મત જે વખતે બાળકને ગમે તે વખતે તે તેના પક્ષમાં જાય છે. આથી બાળક એક વાર એકમાં તો બીજી વાર બીજામાં ભળીને સૌને બેવફા બંને છે, અને બધાંને કેમ ઠગવાં તે શીખે છે.
અમુક બાબતો પર ઘરનાં માણસોમાં કદાચ માંભેદ હોય તોપણ બાળકો સામે એ મતભેદ જાહેર કરી બાળકોને ગોટાળામાં નાંખવા નહિ, પણ જે સર્વમાન્ય મત હોય તેની ભૂમિકા ઉપર બાળકોને રહેવા દેવાં એ સારું છે.


બે, ચાર, પાંચ વાર કહ્યા છતાં બાળકો સાંભળતાં કે માનતાં નથી, તેનો અર્થ એ છે કે બાળકોને માબાપ પ્રત્યે ભાવના નથી, તેમ જ માબાપનો તેમના પર બોજ પડતો નથી.

૨ 
એકવાર એક કુતરો જંગલમાં થી પસાર થતો હતો.
તેને રસ્તામાં સામેથી સિંહને આવતા જોયો
એને મનોમન વિચાર્યું કે આજે તો ખેલ ખલાસ, પ્રભુને પ્યારા થવા નો સમય આવી ગયો.
પણ એ કુતરો પણ આપણા ગુજરાતીઓ જેવો સ્માર્ટ હતો.
એને રસ્તાની બાજુમાં હાડકાનો ઢગલો જોયો.
તે સિંહ તરફ પીઠ કરી ને તે હાડકા ચૂસવા લાગ્યો.
અને બોલવા લાગ્યો.”આહાહા..આજે તો સિંહને ખાવાની મજા પડી ગઈ..સિંહ તો મને બહુ ભાવે છે, એક સિંહ હજુ ખાવા મળી જાય તો તો જલસો પડી જાય.”
આ સાંભળીને સિંહ ને થયું કે આ કુતરો તો બહુ ભયંકર લાગે છે…આનાથી તો દૂર રહેવામાં જ ભલાઈ છે.
એટલે તે ચુપચાપ ત્યાં થી નીકળી ગયો..
ત્યાં જ ઝાડ ઉપર બેઠેલો એક વાંદરો આ બધું જોતો હતો.
તેને થયું કે આ કુતરા એ તો સિંહ ને જબરો ઉલ્લુ બનાયો..હું સિંહને જઈને બધું સાચું કહી દુ.. જેથી કરીને સિંહ જોડે દોસ્તી પણ થઇ જાય અને મને જંગલમાં કોઈથી ડરવું પણ નહી પડે.
એટલે એ સિંહની પાછળ દોડ્યો.
હવે એણે જઈને સિંહ ને બધી વાત કરી..
આ સાંભળીને તો સિંહ ખુબ ઉશ્કેરાયો…તેણે કહ્યું.”ચલ..હમણાં જ એનો ખેલ ખતમ કરી નાખું”
અને પછી વાંદરો સિંહની પીઠ પર સવાર થઇ ગયો..બન્ને પાછા કુતરા તરફ ચાલવા માંડ્યા.
હવે જયારે વાંદરો સિંહ તરફ જતો હતો ત્યારે કુતરાએ એણે જતા જોયો હતો અને એ બધું સમજી ગયો હતો.
હવે એ સ્માર્ટ કુતરા એ બીજી યુક્તિ અપનાવી..
એણે ફરીથી સિંહ તરફ પીઠ કરી…અને જેવા એ લોકો થોડા નજીક આવ્યા તે જોરથી બોલ્યો..
“આ વાંદરાને ૧ કલાકથી મોકલ્યો છે…સાલો હજી સિંહ લઇને આવ્યો કેમ નહી??”.

૩ 

જિંદગીને બહેતર બનાવવાનાં 25 પગથિયાં – સંકલિત
[1] જગતને જોવાની મજા – એસ્થર ગ્રેહામ
રેલગાડીમાં સફર કરતા એક માણસ અને તેના નાના પુત્રની પાછળની બેઠકમાં હું બેઠી હતી. પાટાની બેઉ બાજુ જે દશ્યો પસાર થતાં હતાં તેમાં એ છોકરાને ખૂબ રસ પડતો હોય એમ લાગ્યું, ને પોતે જે કાંઈ જુએ તેનું વર્ણન એ પિતાને મોઢે સતત કરતો જતો હતો. એક નિશાળના ચોગાનમાં રમતાં બાળકોની વાત એણે કરી, એક વોંકળામાં પડેલા પથ્થરોની વાત કરી અને પાણી પર પડતાં સૂરજનાં કિરણો વર્ણવ્યાં. વચમાં, એક માલગાડીને જવા દેવા માટે અમારી ગાડી ઊભી રહી ત્યારે, એ ભારખાનાના દરેક ડબ્બામાં શું શું હશે તેની અટકળ એણે ચલાવી. એમને ઊતરવાનું સ્ટેશન નજીક આવતું ગયું તેમ તેમ તો એ છોકરાની ખુશાલી વધતી ચાલી. સફરને અંતે આગલી બેઠક પર જરા નમીને પિતાને મેં કહ્યું : ‘એક બાળકની આંખો મારફત જગતને જોવામાં કેવી મજા આવે છે – નહીં ?’
સ્મિત કરીને એમણે જવાબ વાળ્યો, ‘હા, બહુ જ. એ એક જ રીતે આપણે જગતને જોઈ શકીએ તેમ હોઈએ, તો તો ખાસ.’ એ અંધ હતા. (‘અરધી સદીની વાચનયાત્રા’માંથી સાભાર.)
.
[2] સત્યનો સાક્ષાત્કાર – મૃગેશ શાહ
કેટલીક ઘટનાઓ બહુ સામાન્ય હોય છે પરંતુ ક્યારેક ઘણી મોટી શીખ આપી દેતી હોય છે. હમણાં એવું જ બન્યું. અમુક કામસર અમારા એક પરિચિત સ્નેહીને ત્યાં અમદાવાદ જવાનું થયું. બાલવાડીમાં જતો એમનો દીકરો હજી માંડ બોલતા શીખ્યો હતો. સ્વાભાવિક રીતે આપણે કોઈને ત્યાં જઈએ એટલે તેમના બાળકને તેડી લઈએ અને પછી રમૂજમાં એને રમાડવા માટે એમ કહેતા હોઈએ છીએ કે “તને લઈ જવા આવ્યો છું.” મેં પણ એમ જ કર્યું અને એ ભાઈ તો ભેંકડો તાણીને રોવા માંડ્યાં ! એને સાચે જ એમ થયું કે હું એને લઈ જઈશ. અહીં ‘સાચે જ’ શબ્દ આપણે વાપરવો પડે છે તે કઠણાઈ છે. હકીકતે તો સત્ય સિવાય બીજું કશું છે જ નહિ. બાળકને ખબર જ નથી કે અસત્ય શું છે. બાળકને તો આપણામાં એવો વિશ્વાસ હોય છે કે આ વ્યક્તિ જે બોલે છે એ પ્રમાણે જ તે કરશે. અજાણતા જ એ બાળકે મારામાં કેટલો બધો વિશ્વાસ મૂકી દીધો હતો ! અને મેં એને શું શીખવ્યું ? – અસત્ય ! કારણ કે હું કંઈ તેને વડોદરા લઈ જવાનો નહોતો ! બાળકની અજ્ઞાત અવસ્થામાં પણ તેનામાં રહેલા સત્યને જે ઠેસ લાગી, એમાં હું નિમિત્ત બન્યો. ‘માણસ જે બોલે એ ન પણ કરે’ એવું એના મનમાં બીજ રોપાયું.
ઘટના તો બહુ સામાન્ય બની. ઘણા બધા લોકો આમ કરતાં પણ હોય છે. પરંતુ આ ઘટના અંગે વિચારતાં મને લાગ્યું કે આ અસત્યના બીજ રોપવા જેવી બાબત છે. કેટલા ભોળપણથી અને નિર્દોષતાથી એણે એમ માની લીધું હતું કે હું જે બોલું છું એ સત્ય જ છે અને હું એ જ પ્રમાણે વર્તીશ જે પ્રમાણે હું બોલું છું. ખરેખર ! આવો અદ્દભુત વિશ્વાસ તો કેવળ બાળક જ મૂકી શકે. આજનો શિક્ષિત સમાજ તો ‘બાળક છે એટલે ભોળવાઈ જાય !’ એમ કહીને આવી બાબતોને નજરઅંદાઝ કરી નાંખે છે. હકીકતે, આવી ઘટનાઓથી જ બાળકને ઈશ્વર તરફથી શું મળ્યું છે તેનું ઉત્તમ દર્શન થાય છે, ખરું ને ? મારા માટે તો આ જ સત્યનો સાક્ષાત્કાર બની ગયો.
.
[3] ગ્લાનિ – ફાધર વાલેસ
રાજાએ ભરેલા દરબારમાં રાજગુરુને પ્રશ્ન કર્યો : ‘જૂના જમાનામાં પ્રજામાં ધર્મનું બળ હતું તે અત્યારે કેમ નથી ?’ રાજગુરુએ જવાબ તો આપ્યો નહિ, પણ બધાંની આગળ એક મોટા વાસણમાં તેલ ભરી દીધું, અને દરબારમાં ઊભેલા હતા એ દરેકના હાથમાં એવું એક ખાલી વાસણ મૂકીને સૌને આજ્ઞા કરી કે તેલવાળું વાસણ લઈને એની બાજુની વ્યક્તિના હાથમાં ખાલી રહેલા વાસણમાં બધું તેલ રેડી આપે, અને એ વળી એ તેલ લઈને બાજુવાળાના ખાલી રહેલા વાસણમાં રેડે અને એમ બધાં કરતાં જાય.
એમ એક એક પોતાના પાત્રમાં તેલ લે અને બીજાના પાત્રમાં રેડે, અને ક્રમે ક્રમે દરબારનું આખું ચક્ર પૂરું થયું અને છેલ્લા દરબારીએ પોતાના પાત્રમાંનું તેલ રાજાના હાથમાં રહેલા પાત્રમાં રેડી દીધું. રાજાએ જોયું તો થોડાંક જ ટીપાં એના પાત્રમાં પડ્યાં. અને સૌએ પણ રાજાની સાથે એ જોયું. તેલ ઘણું હતું. પણ વાસણે વાસણે એ ચોંટતું જાય એટલે શરૂઆતમાં ખાસ ફેર દેખાતો નથી પણ એનું પ્રમાણ ઓછું થતું જાય, અને આખરે રાજાના હાથમાં થોડાં જ ટીપાં આવી જાય.
રાજા સમજી ગયા.
બધાં સમજી ગયાં.
ધર્મના અનુભવને બદલે ધર્મનું શિક્ષણ આવે ત્યારે ધર્મની ગ્લાનિ આવે. (‘પ્રસન્નતાની પાંખડીઓ’ પુસ્તકમાંથી સાભાર.)
.
[4] ભૂતકાળના ઉપકારો ભૂલાઈ જાય છે – ભદ્રાયુ વછરાજાની
એક માણસે, કરુણાભાવે વાઘને પાંજરામાંથી છોડ્યો. જેવો તે છૂટો થયો, તેવો તે માણસને ખાવા દોડ્યો.
માણસે કહ્યું : ‘મેં તારા ઉપર કરેલ ઉપકારને તું કેમ ભૂલે છે ? ઉપકાર જેવી કોઈ ચીજ હોય છે.’
વાઘે આ વાતનો પ્રત્યાઘાત આપતાં કહ્યું : ‘ભૂતકાળના ઉપકારો જલદી ભૂલાઈ જાય છે. કોઈપણને પૂછી જુઓ.’
બંનેએ આ પ્રસંગ ત્યાંથી પસાર થતા કૂતરા સમક્ષ રજૂ કર્યો. કૂતરાએ અભિપ્રાય આપતાં કહ્યું :
‘વાઘ સાચો છે. મેં મારી યુવાનીમાં મારા માલિકની ઘણી સારી સેવા કરી, પરંતુ હું ઘરડો થયો, એટલે તેણે મને જંગલમાં ધકેલી દીધો.’ માણસે બીજો અભિપ્રાય લેવાની માંગણી કરી, એટલે ત્યાંથી પસાર થતા ઘોડાને પૂછવામાં આવ્યું. એણે પણ લગભગ કૂતરા જેવો જ અભિપ્રાય આપ્યો. માણસે ત્રીજા અભિપ્રાયની માંગણી કરી. આ વખતે જોગાનુજોગ શિયાળ મળી આવ્યું. તેણે કહેલી વાતને માનવાની ના પાડી અને માણસ અને વાઘ વચ્ચે જે બન્યું હતું, તેનું નિદર્શન કરી બતાવવા જણાવ્યું. વાઘ શિયાળની મૂર્ખતા પર ગુસ્સે થતો થતો પાંજરામાં સરક્યો. શિયાળ કૂદ્યું અને પાંજરું બંધ કરી દીધું. તેણે માણસને કહ્યું : ‘મેં તને મુસીબતમાંથી છોડાવ્યો છે, તું મને બદલામાં શું આપશે ?’
માણસે વિચાર્યું : ‘મારે શા માટે શિયાળના અહેસાનમાં આવવું જોઈએ ?’ અને શિયાળનો પીછો પકડી તેને દૂર હાંકી કાઢ્યું. (‘હૈયું-મસ્તક-હાથ’ પુસ્તકમાંથી સાભાર.)
.
[5] મરણ – રમેશ સવાણી
કેટલાય મહિનાઓ પછી વતનમાં જવાનું થયું. ઘરેથી પત્ર આવ્યો કે દાદાનો પગ ભાંગી ગયો છે એટલે…. મનમાં થયું : ‘સારું થયું પગ ભાંગ્યો. હવે દાદા શાંતિથી બેસશે. માથું ફાડી નાખે તેવો તડકો હોય કે કડકડતી ઠંડી. દાદા કામ કરતા જ હોય, થાકે જ નહીં. આટલી ઉંમરે શી જરૂર હતી સખત કામ કરવાની ? મા દીકરાને નવડાવે તેમ દાદા રોજ ભેંસોને ધમારે. ભેંસને વાળવા ગયા અને પડી ગયા. પગ ભાંગી ગયો….’
ઘરે પહોંચ્યો.
દાદાની સારવાર કરી રહેલ ડૉક્ટરને મેં પૂછ્યું : ‘દાદાને સારું થઈ જશે ?’
ડૉક્ટર કંઈ બોલે તે પહેલાં પિતાજીએ કહ્યું : ‘હવે સારું થશે ઉપર જશે ત્યારે !’
મને આંચકો લાગ્યો. પિતાજી ડૉક્ટરને લઈને બહાર ગયા ત્યારે દાદાએ કહ્યું, ‘દીકરા શું કહું ? કોને કહું ? તારી બા ય પૂરો રોટલો ખાવા આપતી નથી. હું ઝટ મરું એની જ સૌ રાહ જોઈ રહ્યા છે…..’
થોડા દિવસ પછી, ઑફિસમાં હું એકલો બેઠો હતો ત્યારે એક સ્નેહીએ આવીને મારા મોંમાં મીઠાઈનો ટુકડો મૂકી દીધો. મેં પૂછ્યું : ‘શું છે ? શેની ખુશી છે ?’
‘આજે હું દાદા બન્યો છું.’
મીઠાઈ મારે ગળે જ અટકી ગઈ. (‘ગુજરાતી લઘુકથાસંચય’ પુસ્તકમાંથી સાભાર.)
૪ 

શ્રીરવિશંકરજી પચ્ચીસ એવાં પગલાં બતાવે છે, જેનો અમલ કરવાથી આપણી જિંદગી જરૂર બહેતર બની શકે. દરેક વ્યક્તિ પોતાની જિંદગી કઈ રીતે બહેતર બનાવી શકે એ અંગે આંતરખોજ કરવી જરૂરી છે. સૌથી પહેલાં તમે તંદુરસ્ત છો કે નહીં તે જાણી લો. તંદુરસ્તી એટલે રોગમુક્ત શરીર, કંપનમુક્ત શ્વાસ, પ્રાણમુક્ત મન, ભયમુક્ત બુદ્ધિ, વળગણવિહોણી સ્મૃતિ, સર્વનો સમાવેશ કરતો અહમ અને ગ્લાનિમુક્ત આત્મા. વળી, જિંદગીનો હેતુ શું છે ? તેઓ કહે છે તમે અહીં ઉદાસ રહેવા નથી આવ્યા. કોઈનો દોષ કાઢવા નથી આવ્યા. તમે અહીં બિચારા બની રહેવા નથી આવ્યા. તમે અહીં ચિંતા કરવા નથી આવ્યા. તમે અહીં દેખાડો કરવા નથી આવ્યા. તમે ચિડાવા કે કોઈને ચિડવવા નથી આવ્યા. આ જિંદગી એક સુંદર રહસ્ય છે અને તમારે નિર્દોષતાથી એને જીવવાની છે. જીવનના રહસ્યને આવી પૂર્ણતાથી જીવી જાણવું એ જ આનંદ છે. હવે પેલાં પચીસ પગલાં :
[1] જીવનનો સંદર્ભ સમજો : લાખો વર્ષની આ સૃષ્ટિમાં આપણી સાઠ, સિત્તેર, સો વર્ષની જિંદગી કેટલી નગણ્ય છે ! એટલે જ આ નિર્ણય કરો. જે કંઈ પણ થાય, ઈશ્વરનું રક્ષણ મારા પર છે જ. દરેક પરિસ્થિતિમાં તમારા મનને શાંતિપૂર્ણ રાખો. બાકીનું બધું બરાબર થઈ રહેશે.
[2] જિંદગીની ક્ષણભંગુરતાને ઓળખો : જિંદગીની ક્ષણભંગુરતાને જુઓ. તે સત્ય છે. બધું વીતી જાય છે, આવતીકાલ પણ વીતી જશે. આપણી જિંદગીની આ પ્રકૃતિને ઓળખો તો જણાશે કે તમારી ભીતર કશુંક છે જે નથી બદલાયું. એક એવું બિંદુ છે જેના સંદર્ભે તમે અન્ય બાબતોને બદલાતી જોઈ શકો છો. એ સંદર્ભ બિંદુ જ જીવનનો સ્ત્રોત છે. શાણપણ છે. એનાથી જિંદગીની ગુણવત્તા સુધરે છે.
[3] તમારા સ્મિતને સસ્તું બનાવો : તમારે વધુ સ્મિત કરવું જોઈએ. દરરોજ સવારે ઊઠીને અરીસામાં જોઈ પોતાની જાતને એક સરસ મજાનું સ્મિત આપો. એમ કરવાથી તમારા ચહેરાના તમામ સ્નાયુઓ રિલેક્સ થઈ જશે. મગજના જ્ઞાનતંતુ પણ હળવાશ અનુભવશે. પરંતુ આટલું કિંમતી સ્મિત તમે કેટલી સહેલાઈથી ગુમાવી દો છો. કોઈક તમને મૂર્ખાઈભર્યું કહે એટલે સ્મિત વિલાઈ જાય છે. એ કહેનારના મગજમાં કચરો ભર્યો હોય તો એને તો એ નાખવા માટે કચરાપેટીની જરૂર હોય જ. પણ તમે શા માટે કચરાપેટી બનો છો ? જરાક સમજો. જાગો. તમારા સ્મિતને કોઈના પણ સારા-માઠા શબ્દોનો ભોગ ન બનવા દ્યો. તમારા સ્મિતને સસ્તું અને ગુસ્સાને મોંઘો બનાવો. જેથી તમે સ્મિત વધુ અને ગુસ્સો ભાગ્યે જ કરશો.
[4] ઉત્સાહી બનો અને અન્યની પ્રશંસા કરો : ઉત્સાહ તો જિંદગીની પ્રકૃતિ છે પરંતુ આપણામાંના ઘણાને કોઈના ઉત્સાહ પર ઠંડું પાણી રેડવાની આદત હોય છે. કોઈની પ્રશંસા કરીને ઉત્સાહ વધારવાની દરેક તક ઝડપી લો. ફરિયાદ કરનારને દિવ્ય પ્રેમ પ્રાપ્ત નથી થતો. તમે એવી વ્યક્તિ બનો જેનો ઉત્સાહ કદી ખૂટે જ નહીં.
[5] ધ્યાનને જિંદગીનો હિસ્સો બનાવો : જીવનમાં ઊંચા લક્ષ્યો પામવા રોજ થોડી મિનિટો ધ્યાન અને આંતરખોજ જરૂરી છે. સવાલ થશે કે ધ્યાન શું છે ? હું કહીશ કે ધ્યાન એટલે વ્યગ્રતાવિહોણું મન. હકીકતમાં ધ્યાન એટલે વર્તમાનની ક્ષણનો સ્વીકાર કરી પ્રત્યેક ક્ષણને ઊંડાણપૂર્વક પૂરેપૂરી જીવવી. બસ, આટલી સમજ સાથે રોજ ધ્યાનની પ્રેક્ટિસ કરો. પછી જુઓ, જિંદગીની ગુણવત્તા કેવી બદલાય છે.
[6] સૌથી સુંદર જગ્યાએ જાઓ : આ સુંદર જગ્યા બીજે ક્યાંય નહીં, તમારી ભીતર જ છે ! એક વાર તમે આ જગ્યાએ આવી જાઓ પછી બધાં સ્થળો તમારા માટે સુંદર જ છે. આ જગ્યાએ પહોંચવા તમારે તમારા શ્વાસ માટે કંઈક જાણવું અનિવાર્ય છે. આપણા શ્વાસ પાસેથી આપણે ખૂબ અગત્યનો પાઠ શીખવાનો છે. મનના પ્રત્યેક લયને અનુરૂપ એક લય શ્વાસનો હોય છે. અને શ્વાસના પ્રત્યેક લયને અનુરૂપ તેમાં લાગણીનો એક લય હોય છે. એટલે જ્યારે તમે મનને સીધી રીતે હેન્ડલ ન કરી શકો ત્યારે શ્વાસ થકી તેને હેન્ડલ કરી શકાશે. એટલે જ શ્વાસની કળા શીખો. જોઈએ તો દર વરસે થોડાક દિવસ તમારી જાતને પ્રકૃતિ સાથે જોડી દો. સૂર્યોદય સાથે ઊઠો, થોડી કસરત કરો, યોગ્ય ખોરાક લો. યોગ અને શ્વાસોશ્વાસની કસરત કરો. ગીતો ગાઓ અને સર્જનનું સૌંદર્ય પીતા પીતા મૌનને માણો.
[7] અસરકારક સંવાદ રચો : દરેક સાથે અસરકારક સંવાદ કરવાની કળા શીખો. તે માટે શું કરશો ? તમારાથી વધુ જાણકાર વ્યક્તિને મળો ત્યારે બાળક જેવા થઈ શીખવા માટે તમારા આંખ કાન ખુલ્લા રાખો. તમારાથી ઓછું જાણનાર વ્યક્તિ સાથે નમ્ર બનો અને એને પણ તમારા જેટલું કે તમારાથી વધુ જાણકાર બનાવવા પ્રયાસ કરો. યાદ રહે, હંમેશાં કંઈક ને કંઈક વહેંચવાનું, શીખવાનું અને શીખવવાનું હોય જ છે. આમ તમારી વાતચીત સુધરે છે ત્યારે તમારી જિંદગી પણ સુધરે છે.
[8] તમારે માટે સમય કાઢો : દિવસમાં કમ સે કમ થોડી મિનિટો, તમારી જાત સાથે ગાળો. હૃદયના ઊંડાણ સુધી જાઓ. આંખ બંધ રાખો અને દુનિયાને દૂર ફગાવી દો. (અલબત્ત, કામ કરતા હો ત્યારે પણ આવી રીતે સો ટકા કામમાં રહો.) આમ બધું ત્યજીને બેસશો ત્યારે જ તમારી સર્જકતા કોળશે.
[9] તમારી આસપાસની દુનિયાને બહેતર બનાવો : નદી જ્યારે સામાન્ય હોય છે ત્યારે નિયંત્રિત સ્વરૂપે વહે છે, પણ પૂર વખતે જળની કોઈ દિશા નથી હોતી. એ જ રીતે જિંદગીને દિશા આપવાની જરૂર છે. જીવન-ઊર્જાને નિયત દિશામાં વહેવા માટે નિષ્ઠાની જરૂર પડે છે. સમાજ પ્રત્યે આવી નિષ્ઠા કેળવો તો સમાજનો તમને સાથ મળશે. સમાજ જ નહીં, સમગ્ર દુનિયાને બહેતર સ્થાન બનાવવાની નિષ્ઠા કેળવો.
[10] તમારી સંવેદનાને પોષો : સંવેદના કે લાગણીવિહોણો માણસ સૂકા લાકડા જેવો છે. તમારા જીવનને એવું રસભર બનાવો કે, લોકો તમારી કંપની ઝંખે. સંગીત, પ્રાર્થના અને સેવાથી તમે તમારી જાતને એવી વ્યક્તિ બનાવી શકો. આ દુનિયા પાસેથી શું મેળવી શકું એમ વિચારવાને બદલે આ દુનિયાને શું આપી શકું તેમ વિચારો. તમે દિલથી ગાશો કે પ્રાર્થના કરશો ત્યારે તમારી લાગણીઓ પુષ્ટ બનશે.
[11] ટૂંકા અને લાંબાગાળાનાં લક્ષ્યોનું આયોજન કરો : તમે જોશો કે તમારું મન ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે ભીંસાયા કરે છે. કાં તે ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના અંગે ક્રોધિત યા ઉદાસ હશે, કાં ભવિષ્યની ચિંતાથી ઘેરાયેલું. આનો અર્થ એ નથી કે ભવિષ્ય માટે આયોજન ન કરવું. ટૂંકાગાળાના અને લાંબાગાળાનાં લક્ષ્યોનું આયોજન કરો. એ માટે તમારા મનને વર્તમાનમાં રાખો અને લક્ષ સુધી પહોંચવાનાં સાધનો અને પદ્ધતિ બંનેનું આયોજન કરો. મહત્તમ સંતોષ આપે તેવી ચીજોનું લક્ષ લાંબાગાળાનું રાખો. નાની નાની વસ્તુઓ આપોઆપ સુલભ થઈ જશે.
[12] પ્રાર્થના એક મહત્વનું શસ્ત્ર છે : જિંદગીને બહેતર બનાવવા માટેનું એક મહત્વનું સાધન છે પ્રાર્થના. પ્રાર્થના બે સ્થિતિમાં થાય છે, તમે જ્યારે એકદમ લાચાર બની જાઓ ત્યારે અને તમે ભગવાન પ્રત્યે ખૂબ જ આભારવશ થઈ જાઓ ત્યારે. તમારાથી શક્ય હોય એટલું કરો અને તમારાથી જે ન થાય તેવું હોય તેને માટે પ્રાર્થના કરો. પણ હંમેશાં યાદ રાખો કે અંતિમ અવાજ ઉપરી સત્તાનો જ રહેશે અને એ હંમેશાં સારા માટે જ હશે.
[13] જરૂર પડે પરિવર્તન કરો : જિંદગીમાં વિવેકબુદ્ધિ પર પડદો પડે છે ત્યારે દુઃખ આવે છે. અને વિવેકબુદ્ધિ શું છે ? આ જીવનમાં સઘળું પરિવર્તનશીલ છે એ જાણવું એ જ વિવેક છે. જીવન સુધારવા માટે જ્યાં અને જ્યારે પરિવર્તનનો અમલ કરવાની જરૂર લાગે ત્યારે એ કરવાની હિંમત દાખવો.
[14] તમારી મર્યાદાઓને ઓળખો : તમે જ્યારે જ્યારે નારાજ હો છો કે લાચાર હો છો ત્યારે તમને તમારી મર્યાદાઓનો પરિચય થાય છે. ત્યારે તમે ઈશ્વરનો આભાર માનો એ પરિચય કરાવવા બદલ અને સમગ્ર સ્થિતિને પ્રાર્થનામાં બદલી નાખો. ઈશ્વરને કહો કે હું બધું તને સમર્પિત કરી દઉં છું. તું શાંતિ લાવ. બસ, તમે હળવા થઈ જશો.
[15] તમારા મિત્રોને ગુમાવો નહીં : જીવનમાં ભૂલો બધાથી થતી હોય છે. ભૂલો બતાવવાની ભૂલ ન કરતા. એનાથી તેને તમે વધુ અપરાધભાવનો અનુભવ કરાવશો. ઉદારદિલ માનવ એમ કરવાને બદલે એ ભૂલોને અનુકંપા અને કાળજીથી સુધારે છે.
[16] સંપૂર્ણતાનો આગ્રહ ન રાખો : આ દુનિયામાં દરેક વખતે દરેક વસ્તુ પરિપૂર્ણ ન હોઈ શકે. ઉદાત્ત હેતુઓથી થયેલાં ઉત્તમ કામોમાં પણ ક્યાંક કંઈક અપૂર્ણતા રહી જવા પામે તેવું બને. એ સ્વાભાવિક છે. કમનસીબે આપણા મનને એ સંપૂર્ણતા પકડીને બેસી જવાની ટેવ હોય છે. અને આ પ્રક્રિયામાં આપણે આપણા મનને અને મિજાજને અપૂર્ણ બનાવીએ છીએ. આ વાહિયાત ચક્રમાંથી બહાર નીકળીએ.
[17] આપણે મશીન ન બનીએ : આપણે ઘણી વાર મશીનની જેમ વર્તીએ છીએ. કોઈ વખાણ કરે કે સ્મિત આપીએ અને અપમાન કરે તો ભવાં ચઢાવીએ. હંમેશાં આપણે એક જ સરખી પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. જુદી રીતે પ્રતિસાદ આપવાની આપણને છૂટ હોવી જોઈએ.
[18] રમૂજવૃત્તિ કેળવો : દરેક વ્યક્તિને બાળસહજ તોફાનીપણું ઈશ્વરે આપ્યું હોય છે. એ રમતિયાળપણાને જીવંત રાખો. રમૂજ આકરી સ્થિતિને હળવી બનાવી દે છે. રમૂજવાળો માણસ ગમે તેવા સંઘર્ષમાંથી પાર ઊતરે છે. રમૂજ તમને અપમાનથી બચાવે છે. અપમાન અને અવહેલનાથી ભરેલી આ દુનિયામાં રમૂજ એક તાજી હવાના સ્પર્શ જેવી છે. પણ હા, રમૂજમાં હંમેશાં કાળજી ભળવી જોઈએ. તેનો અતિરેક થાય તો ખરાબ. શાણપણ અને સંવેદનશીલતા વિનાની રમૂજ સમસ્યાઓ સર્જે છે.
[19] ભૂલ થવાનો ડર ન રાખો : ભૂલ થઈ ગઈ છે તેવું ભાન તમને તમે નિર્દોષ હો ત્યારે જ થાય છે. જે કોઈ ભૂલ થઈ એ માટે પોતાની જાતને પાપી ન ગણો, કેમ કે વર્તમાન ક્ષણમાં તમે નવા અને શુદ્ધ છો. ભૂલો કરવાનો ડર ન રાખો. પણ હા, એક ને એક ભૂલ ફરી ન કરો.
[20] તમારા પૂર્વગ્રહોને અતિક્રમી જાઓ : તમારા પૂર્વગ્રહો તમને આસપાસના લોકો સાથે મુક્તપણે એકરસ થવા દેતા નથી. કોઈની સામે પૂર્વગ્રહ ન રાખો. સાથે જ, તમારી પોતાની ઓળખ અંગે પણ ક્ષોભમાં ન રહો. પૂર્વગ્રહને અતિક્રમીને જ તમે સહજ બની શકશો અને તમારી જિંદગીની ગુણવત્તા બહેતર બનશે.
[21] ઈશ્વરના આશીર્વાદનો સદા અનુભવ કરો : જીવનમાં કોઈ નિષ્ફળતા છે જ નહીં. દેખીતી બધી નિષ્ફળતાઓ વધુ મોટી સફળતા તરફ લઈ જતી સીડીઓ જ છે. જ્યારે અવરોધો અસહ્ય લાગે ત્યારે અંતરના ઊંડાણથી કરેલી પ્રાર્થના ચમત્કાર કરી શકે છે. ઈશ્વરનો મને આશીર્વાદ છે એવી લાગણી તમને કોઈ પણ નિષ્ફળતામાંથી બહાર આવવામાં મદદ કરશે.
[22] સદવર્તન કરતા રહો : તમે સદવર્તન કરો છો ત્યારે તમારી ખરી પ્રકૃતિ પ્રગટ થાય છે. પણ દયા અને સેવાની આ પ્રવૃત્તિ મિકેનિકલ ન હોવી જોઈએ. સહજભાવે આવાં સત્કૃત્યો કરો.
[23] હંમેશાં વિદ્યાર્થી રહો : તમે હંમેશ માટે વિદ્યાર્થી રહો. જ્ઞાન કોઈ પણ ખૂણામાંથી આવી શકે છે. જીવનમાં દરેક પ્રસંગ અને વ્યક્તિ આપણને કાંઈક અને કાંઈક શીખવે છે. આ દુનિયા આપણી ગુરુ છે અને તમે સતત શીખતા રહેવાની વૃત્તિ રાખશો તો તમે બીજાની કિંમત ઓછી આંકવાની બંધ કરશો.
[24] અશક્ય સાધવાનું સપનું જુઓ : તમારી પાસે સપનું હશે તો જ એને સાકાર કરી શકશો. અશક્ય લાગે તે સાધવાનું સપનું જુઓ. આપણે સહુ આ દુનિયામાં કશુંક અદ્દભુત અને અનોખું કરવા આવ્યા છીએ. આ તકને સરકી જવા ન દેતા. મોટાં સપનાં જોવાની અને પછી તેને સાકાર કરવાની હિંમત કેળવો.
[25] તમારા દેખાવની તુલના કરો : નવા વર્ષની ઉજવણી તમને શાણા થવાનો અવકાશ આપે છે. ભૂતકાળમાંથી શીખવા જેવું શીખો, ભૂલવા જેવું ભૂલો અને આગળ વધો. ગરીબ માનવી વર્ષમાં એક જ વાર નવું વર્ષ ઊજવે છે. અમીર માણસ દરરોજ ઊજવે છે. પણ સૌથી સમૃદ્ધ તો એ છે જે જીવનની ક્ષણેક્ષણને ઊજવે છે. તમે કેટલા સમૃદ્ધ છો તેના તરફ આ નવું વર્ષ ઉજવતા ઉજવતા એક નજર કરજો. આ તમારું હોમવર્ક છે અને તમારા આ વર્ષના દેખાવની ગયા વર્ષના તેમજ તેના આગલા વર્ષ સાથે તુલના કરશો. હંમેશાં સ્મિત કરતા રહેજો. હૃદય હંમેશાં જૂની વાતોને ઝંખે છે અને મન નવી બાબતોને. જિંદગી આ બંને બાબતોનું મિશ્રણ છે
૫ 

બે પ્રેરક પ્રસંગો




[1]  પરદેશી ધરતી – અજ્ઞાત ( ‘ગુજરાત દર્પણ’ સામાયિક (અમેરિકા), એપ્રિલ-2006 માંથી સાભાર
પૂર્વ આફ્રિકાની ધરતી ઉપર બુકોબા નામનું એક નાનકડું શહેર. ‘ટાઉન’ જ કહો ને ! આપણાં ભારતીયો અને એશિયનોની વસ્તી પણ ત્યાં ઠીક ઠીક. રમા અને ચન્દ્રકાન્ત પણ ત્યાં આવી વસેલાં. ચન્દ્રકાન્ત શાહ વ્યવસાયે વકીલ અને અંગ્રેજો સાથે પેઢીમાં ભાગીદાર (એટોર્નિઝ એટ લૉ.) ધીકતી પ્રેકટિસ, સુખી જીવન !
એમાં વધુ સુખનો પ્રસંગ આવ્યો. રમાને પહેલી પ્રસૂતિ આવવાની હતી. ગામમાં ડૉકટરો ખરા, પણ સરકારી હૉસ્પિટલ અને પ્રસૂતિગૃહ એક માઈલ દૂર. વળી ઘરમાં બીજું ત્રીજું કોઈ માણસ નહિ. રમાએ સૂચન કર્યું : ‘ઈન્ડિયાથી મારા બાને બોલાવી લઈએ તો ?’
‘ભલે, જેવી તારી ઈચ્છા !’ ચન્દ્રકાન્તે સંમતિ દર્શાવી.
અને જેમણે પોતાના શહેર બહાર યાત્રા નિમિત્તે પણ કદી પગ મૂક્યો નહોતો એવા કમળાબા વિમાનમાં ઊડીને સીધાં આફ્રિકાની ધરતી પર ઊતરી આવ્યાં. રમા રાજી થઈ. ચન્દ્રકાન્તને નિરાંત થઈ. કમળાબાને આનંદ થયો, દીકરી જમાઈની સુખી સમૃદ્ધ જીંદગી જોઈને.
દિવસો પસાર થવા લાગ્યા. કમળાબા એ ક્ષણની રાહ જોતાં હતાં, જે માટે એ જન્મભૂમિ છોડીને આ પરદેશીઓ વચ્ચે, કાળા લોકો વચ્ચે આવ્યાં હતાં. પહેલાં પહેલાં તો એમને જરાયે ગમ્યું નહોતું. ભાષા અજાણી, કાળા કદરૂપા આફ્રિકન લોકો અને વાત કરનારું સમવયસ્ક કોઈ નહિ. પણ પછી ધીમે ધીમે મન સ્વસ્થ થવા લાગ્યું. અને એ ક્ષણો પણ આવી. રમાને પહેલી પ્રસુતિની પીડા ઊપડી. ચન્દ્રકાન્તની ઑફિસે ફોન કર્યો. મારતી કારે એ આવ્યા. રમાને અને કમળાબાને કારમાં લઈ એમણે કારને સરકારી હૉસ્પિટલ તરફ મારી મૂકી.
હૉસ્પિટલના મુખ્ય ડૉકટર અંગ્રેજ ગૃહસ્થ હતા. તેમણે હસીને સ્વાગત કર્યું. રમાને ‘લેબર-રૂમ’ માં લઈ લીધી. ઘટતા ઉપચાર શરૂ કર્યા. સાસુ અને જમાઈ ચિંતાતુર ચહેરે, લેબરરૂમથી થોડે દૂર પેસેજ વટાવીને આવતા ચોક જેવી જગ્યામાં, નાનકડા સોફા પર બેઠાં. કોઈ વાત કરવાના મૂડમાં નહોતાં. હતા માત્ર પ્રતીક્ષામાં. પસાર થઈ રહેલી પળોની ગણત્રીમાં અને કોઈ અજ્ઞાત ભયની ચિંતામાં.
સમય પસાર થતો ગયો. બે કલાક થઈ ગયા.
લેબરરૂમમાં આવ-જા થતી દેખાતી. અવાજો સંભળાતા હતા પણ રમાનો છુટકારો થતો નહોતો. કુદરતી રીતે પ્રસવ થતો નહોતો. પહેલી પ્રસૂતી હતી. ચિંતાજનક સ્થિતિ હતી. ચન્દ્રકાન્ત ઊભા થઈને આંટા મારવા લાગતા, ને વળી કંઈ કારણ વગર બેસી જતા. મૂંગા મૂંગા બેસી રહેતા, ને ફરી ઊભા થઈ જતા. કમળાબા મનમાં ઈષ્ટદેવ શ્રીનાથજીનું સ્મરણ કરી રહ્યાં હતાં, ‘બધું સમું-સૂતરું પાર ઉતારજો, શ્રીજી બાવા!’
થોડીવારમાં વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. જાણે ઘેરી ગંભીરતા ચોપાસ છવાઈ ગઈ ! કમળાબાના મનમાં પ્રશ્ન થયો, કશું ચિંતાજનક ? એમના મનમાં ધ્રાસકો પડ્યો. એમણે જમાઈને ઈશારો કર્યો.
‘આ બધું આમ કેમ શાંત થઈ ગયું ? જાણે સૌ ચૂપચાપ થઈ ગયાં ! રમાને કંઈ…..’ કહેતાં માનો કંઠ ભરાઈ આવ્યો.
‘હું જોઉં….’ કહેતા ચન્દ્રકાન્ત ઊભા થયા અને એ લેબર રૂમ ભણી ચાલ્યા. લેબર રૂમનું બારણું બંધ હતું. શું કરવું ? ત્યાં તો કમળાબા પણ તેમની પાછળ આવી ઊભાં. બંનેના ચહેરા પર મૂંઝવણ અને ચિંતા ઘેરા રંગોમાં ચીતરાયેલાં હતાં. હૈયા જોર જોરથી ધબકતાં હતાં. રમાના યોગક્ષેમની ચિંતામાં કાળજું કંપતું હતું.
ત્યાં કશોક અવાજ સંભળાવા લાગ્યો, સમૂહનો અવાજ, એક સાથે સૌ કશુંક ગણગણતા હોય તેવો. ચન્દ્રકાન્તે હિંમત કરી લેબર રૂમને બારણે હાથ મુક્યો. બારણું અંદરથી બંધ નહોતું. થોડું ઊઘડી ગયું. સાસુ અને જમાઈ અંદરનું દશ્ય આશ્ચર્યમુગ્ધ બની, આભાં બની જોઈ રહ્યાં.
અંદર અંગ્રેજ ડૉકટર અને કાળા આફ્રિકન પરિચારકો શેત્રંજી પર ઘૂંટણિયે પડી, મા મેરીની મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરી રહ્યાં હતાં. પ્રાર્થના પૂરી થઈ. સૌ ઊભાં થયાં. ઓપરેશન થિયેટરમાં રમાને લઈ જવામાં આવી.
એક નિગ્રો નર્સે બહાર આવી પૂછ્યું : ‘કેમ ? અહીં કેમ ઊભાં છો તમે ?’
‘તમે શું કરતાં હતાં ?’ કમળાબેને સામું પૂછ્યું.
‘પ્રાર્થના ! મા મેરીને પ્રાર્થના કરતાં હતાં !’
‘શી ?’
‘એ કે, મા મેરી, તું આ મા અને નવા આવનાર તેના બાળકને બચાવજે!’ ઑપરેશન પહેલાં અમે હંમેશા પેશન્ટ માટે આમ પ્રાર્થના કરીએ છીએ !’ નિગ્રો નર્સે કહ્યું.
કમળાબાને થયું, ‘અરે વાહ ! આ ધરતી પરદેશી હતી ? કે સવાયી સ્વદેશી ?’
.
[2] મનની મોટાઈ – બેપ્સી ઍન્જિનિયર
ઈંગલેન્ડમાં આવેલું નોરફોકનું પરગણું. ત્યાંનો એરૂનડેલનો કિલ્લો જેટલો પુરાણો એટલો જ ખ્યાત નામ.
નોરફોકના રેલ્વે સ્ટેશન પર એક દિવસ ગાડી આવી થંભી. ગાડીના ડબ્બામાંથી એક બાળા ડોકાઈ. પહેલીવહેલી વાર એ અહીં આવી હશે એમ મોંના ભાવ પરથી લાગતું હતું. બાળા આઈરીશ હતી. તે નીચે તો ઊતરી પણ તેની બૅગ કેમ ઉતારવી ? ખૂબ ભારેખમ હતી એ. એના પોતાના વજનથી બમણી. આમતેમ નજર દોડાવતી રહી. ટ્રેન ઊપડે તે પહેલાં કોઈ મજૂર મળે તો….. તે નાની બાળા એરૂનડેલના કિલ્લામાં કામવાળીની હેસિયતથી અહીં આવી હતી.
કિલ્લો માઈલ જેટલો દૂર હતો અને વેરી બની બેઠેલી બૅગ એની મૂંઝવણ અનેકગણી વધારી દેતી હતી. ત્યાં જ તેની નજર સ્ટેશન પર ઘરાકની શોધમાં ઊભેલા એક મજૂર પર પડી. તે દોડતી તેની પાસે પહોંચી ગઈ અને તેને બૅગ ઊંચકી એરૂનડેલના કિલ્લા સુધી પહોંચાડવા વિનંતી કરવા લાગી. હા-ના ની રકઝક લાંબી ચાલી. એક શિલિંગમાં પેલો કિલ્લા સુધી મસમોટી બૅગ પહોંચાડવા તૈયાર નહોતો. બાળાના ગજવામાં શિલિંગ સિવાય કશું જ નહોતું. હરપળ તેની દ્વિધા વધતી જતી હતી છતાં પેલો ટસથી મસ નહીં. આંખમાં ધસી આવવા મથતા અશ્રુપ્રવાહને પરાણે ખાળતી બાળા આસપાસ વિહ્વળ બની જોતી હતી ત્યાં જ એક બીજો માણસ તેની સામે આવી ઊભો. વસ્ત્રો જરા લઘરવઘર હતાં એટલે બાળાને થયું કે એ પણ મજૂરી રળવા જ ત્યાં ઊભો હશે. ત્યાં તો પેલાએ જ ચોખવટ કરતાં કહ્યું, ‘હું તને કિલ્લા સુધી પહોંચાડી દઈશ, ચાલ.’
પેલાએ બૅગ ઉપાડી લીધી. બાળા તેની પાછળ દોરાઈ. પછી તો પગલે પગલાં મેળવતાં ને વાતોના તડાકા મારતાં બન્ને ચાલ્યાં. ત્યાં તો સામો કિલ્લો દેખાયો. બાળાએ પેલાને એના ગજવામાં પડેલી એક છેલ્લી શિલિંગ આપી. આભાર માની પેલાએ તે લીધી અને ત્યાંથી ચાલતી પકડી.
બીજા દિવસનું વહાણું વાયું. તે દહાડે એવું કાંઈક બન્યું કે બાળાના આશ્ચર્યનો તો પાર જ નહીં. અત્યંત વૈભવશાળી કિલ્લાના એક ભભકાદાર ખંડમાં એની સામે એના માલિક ઊભા હતા. પ્રેમથી તેમણે બાળાને પૂછ્યું, ‘અહીં ગમે છે ખરું ને ?’ સહેજ શરમાઈને મનની ગભરામણ મનમાં દબાતી બાળાએ હકારમાં ડોકી હલાવી અને સહેજ માથું ઊંચું કરી માલિક સામું જોયું ત્યાં તો વીજળીનો કરન્ટ લાગ્યો હોય તેમ બાળા તો સડક ! અરે, આ તો ગઈ કાલે રાતે એની બૅગ ઊંચકી કિલ્લા સુધી એને સહીસલામત મૂકી જનાર પેલો લઘરવઘર વસ્ત્રોવાળો જેને એ મજૂર માની બેઠેલી અને પોતાની એક પૂરી શિલિંગ મજૂરી રૂપે આપેલી તે પોતે ! એરૂનડેલ કિલ્લાનો માલિક ! ડ્યુક ઑફ નોરફોક પોતે !
એ દિવસે બાળાને સમજાયું કે જે મનથી મોટો છે તે નાનામાં નાનું કામ કરવામાં કદી નાનપ અનુભવતો નથી. જિંદગીભર તેણે આ યાદ રાખ્યું.

૬ 

બધું જ સારું ક્યારેય નહીં હોવાનું

જિંદગીથી દરેક માણસને કોઈ ને કોઈ ફરિયાદ તો હોવાની જ છે. દરેકને એવું લાગતું જ હોય છે કે હજુ જિંદગીમાં કંઈક ખૂટે છે. બસ,આ એક પ્રોબ્લેમ ન હોત તો જિંદગી કંઈક જુદી જ હોત એવું બધાને થતું જ હોય છે. દરેક વ્યક્તિ આશ્વાસન શોધતી ફરે છે. ઉકેલ,નિરાકરણ અથવા સમાધાન માટે માણસ ફાંફાં મારે છે. માણસના મોટાભાગનાં દુઃખનું કારણ તેના સુખ મેળવવાના ધમપછાડામાં છુપાયેલું હોય છે.
સુષુપ્ત જ્વાળામુખી જેવો માણસ અંદરથી સતત ધગધગતો રહે છે અને તક મળતાં જ ધડાકાભેર ફાટે છે. બધાને બધું જ જોઈએ છે અને ખૂબ ઝડપથી જોઈએ છે. બધા મોકાની રાહ જુએ છે, આપણો સમય આવશે ત્યારે જોઈ લેશું. દરેકને કંઈક અને કોઈક નડે છે. દરેક માણસ રોદણાં રડે રાખે છે. કોઈની સફળતા પણ આપણાથી સહન થતી નથી. કેટલા લોકો ખરેખર દિલથી અભિનંદન આપતાં હોય છે? આપણા સુખનો આધાર આપણે બીજા લોકોના સુખને કેવી રીતે સ્વીકારીએ છીએ તેના ઉપર પણ રહેતો હોય છે. મોટાભાગે માણસ કોઈનું સુખ જોઈને વધુ દુઃખી થતો હોય છે. કોઈને કંઈ મળ્યું હોય તો જાણે આપણું છીનવી લીધું હોય એવું આપણને લાગે છે. નસીબનો બળિયો છે હોં એવું કહીને આપણે કોઈની મહેનત કે હિંમતને દાદ આપવાના બદલે એને નસીબથી મળી ગયું હોય એવી લાગણી વ્યક્ત કરીએ છીએ.
જિંદગીએ દરેકને પૂરતું આપ્યું જ હોય છે છતાં દરેકને એવું થતું રહે છે કે, થોડા હૈ, થોડે કી જરૂરત હૈ… ઇચ્છા રાખવી, સપનાં સેવવાં અને બહેતર જિંદગીની અપેક્ષા રાખવામાં કંઈ જ ખોટું નથી પણ કંઈક મેળવી લેવાની લાયમાં જિંદગી જીવવાનું ભુલાઈ ન જવું જોઈએ. જિંદગી એ સુખ અને દુઃખનો સરવાળો છે. ગુલાબનું ફૂલ જોઈતું હોય તો કાંટાને પણ સ્વીકારવા પડે છે. જિંદગીમાં પડકારો તો આવવાના જ છે. આપણી ઇચ્છા મુજબ બધું ક્યારેય ચાલવાનું નથી. વિચાર કરો કે જિંદગી એક જ ઘરેડમાં ચાલતી હોત તો કેવી કંટાળાજનક બની જાત. જેને જે જોઈતું હોય એ મળી જાય છે તેવા લોકોના જીવનમાં સતત કંઈ ખૂટતું રહે છે. કંઈક મેળવવાની અને કંઈક બનવાની ઇચ્છા જ માણસને જીવવાનું તત્ત્વ પૂરું પાડે છે. કોઈ લડાઈ લડયા વગર જીતી શકાતી નથી. લડયા વગર જીતવાનું તો દૂર, હારી પણ શકાતું નથી. જે કોઈ દિવસ હાર્યો નથી એને જીતનો સાચો આનંદ ક્યારેય આવતો નથી.
જિંદગી સામે ક્યારેય ફરિયાદ ન કરો. હા, ઘણી વખત જિંદગી એવા મુકામ પર લાવીને આપણને છોડી દે છે કે આપણને કોઈ રસ્તો નથી સૂઝતો. આવું કંઈ થાય ત્યારે જિંદગીને વહેવા દેવી જોઈએ. જિંદગીના મોટા ભાગના જવાબ જિંદગી જ આપી દેતી હોય છે. જિંદગી પાસે માત્ર સવાલો જ નથી હોતા, જવાબો પણ હોય છે, આપણે બસ એ જવાબની રાહ જોવાની હોય છે. આપણે જવાબ પણ ઝડપથી જોઈતો હોય છે. જવાબ ન મળે ત્યારે આપણા પ્રશ્નો જ ફરિયાદ બની જાય છે. મારી સાથે જ આવું થાય છે. આપણે ભગવાનને પણ પૂછવા લાગીએ છીએ કે તું છે કે નહીં? અને તું છે તો દેખાતો કેમ નથી? દરેક માણસ પોતાની નજરોમાં નિર્દોષ જ હોય છે. ચોર, લૂંટારા અને ખૂનીઓ પણ પોતાને નિર્દોષ જ ગણાવતા હોય છે. કયો ગુનેગાર એવું કહે છે કે મેં ગુનો કર્યો છે અને મને સજા થવી જોઈએ! દરેક પાસે પોતાની નિર્દોષતાનાં કારણો છે અને પુરાવા પણ એ ઊભા કરી દે છે. માણસ જ્યારે કંઈ જ નથી કરી શકતો ત્યારે એ બીજાને દોષ દેવાનું શરૂ કરી દે છે.
એક માણસ સંત પાસે ગયો. તેણે કહ્યું કે હું આખી દુનિયાથી થાકી ગયો છું. દુનિયામાં સારું કશું છે જ નહીં, બધા જ સ્વાર્થી, લુચ્ચા,બદમાશ અને લેભાગુ છે. મને જિંદગીમાં નાલાયક લોકો જ મળ્યા છે. સંત કંઈ જ બોલ્યા વગર તેની વાત સાંભળતા રહ્યા. એ માણસે બોલવાનું પૂરું કર્યું ત્યારે સંતે કહ્યું કે ચાલ મારી સાથે. સંત ઝૂંપડામાં ગયા. એક વાટકીમાં થોડીક ખાંડ લીધી, પછી થોડુંક મીઠું લીધું અને વાટકીમાં નાખ્યું. વાટકીમાં ખાંડ અને મીઠું મિક્સ થઈ ગયું. વાટકી બતાવીને સંતે કહ્યું કે જો ળજિંદગી આવી છે. થોડીક ખારી, થોડીક મીઠી. સંત એ માણસને બહાર લઈ ગયા.
એક ઝાડના થડ નજીક કીડીઓનું દર હતું. સંતે ખાંડ અને મીઠાનું મિશ્રણ કીડીઓના દર નજીક રાખી દીધું. ધીમે ધીમે કીડીઓ બહાર આવી અને ખાંડના કણો ઉઠાવી ગઈ. છેલ્લે માત્ર મીઠું જ બચ્યું. સંતે કહ્યું કે આ કીડીઓને જો, જિંદગીની સમજ આવી જશે. જિંદગીમાં મીઠું પણ છે અને ખાંડ પણ છે, તમને માત્ર ખાંડ ઓળખતા આવડવી જોઈએ. સારા અને ખરાબના મિશ્રણમાંથી તમે જે જોશો એ જ દેખાશે. આપણે ત્યાં કહેવત છે કે જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો હોવાનો જ, પણ આપણે ઉકરડા સામે શા માટે જોવાનું? ગામ સામે જુઓને.
જેની પાસે પરિણામ નથી હોતું એની પાસે એક્સ્ક્યુઝીસ હોય છે. આપણે બધા જ આપણા બચાવનાં કારણો શોધતાં ફરીએ છીએ. ભૂલ સ્વીકારવા જેટલી નિખાલસતા પણ આપણે કેળવી શકતા નથી, ભૂલ કેવી રીતે થઈ તે સમજાવવાનો પ્રયાસ કરતાં ફરીએ છીએ. લોકો પહેલાં એ વિચારે છે કે જો હું ખોટો પડીશ તો શું જવાબ આપીશ? પોતાનો વાંક શોધવો એ સૌથી અઘરું કામ છે. સૌથી સહેલું કામ છે કોઈને દોષ દેવાનું.
આ એક માણસ મને નડે છે. એ મને આગળ આવવા દેતો નથી. એને મારી ઈર્ષ્યા થાય છે. હું સફળ ન થાઉં એવું જ એ ઇચ્છે છે. દરેકને કોઈની સામે ફરિયાદ છે. જિંદગીમાં એક માણસને મારી નાખવાની જો તમને છૂટ આપવામાં આવે તો તમે કોને મારી નાખો?એક માણસે થોડાક લોકોને ભેગા કરીને આવું પૂછયું. બધાએ તેના દુશ્મન નંબરવનનું નામ આપ્યું. પ્રશ્ન પૂછનાર માણસે પછી એટલું જ કહ્યું કે હવે તમે માત્ર એટલું જ કરો કે એને માફ કરી દો, માફ કરીને એને ભૂલી જાવ, કારણ કે જ્યાં સુધી તમે એને ભૂલી નહીં શકો ત્યાં સુધી તમે બીજું કંઈ જ યાદ નહીં રાખી શકો. માણસ તેની મોટાભાગની શક્તિ વેર લેવામાં અને બતાડી દેવામાં વેડફે છે.
જિંદગીમાં બધું જ સારું ક્યારેય નહીં હોવાનું પણ જો તમે માત્ર સારું જ જોશો તો તમને બધું સારું જ દેખાશે. વાંક જોવાવાળાને બધું વાંકું જ દેખાવાનું છે. ચાંદમાં ડાઘ છે પણ તમારે જો ચાંદની – રોશની જ જોવી હોય તો તમને ડાઘ નડતાં નથી. જિંદગી સરળ અને સહજ જ હોય છે, આપણે તેને અઘરી સમજી લેતા હોઈએ છીએ અને અઘરી બનાવી દેતા હોઈએ છીએ. દુનિયા આજે જેટલી સારી છે એટલી અગાઉ ક્યારેય સારી ન હતી એવું સ્વીકારનારને દુનિયા સારી જ લાગે છે. સતયુગ અને કળયુગ પણ આપણા કારણે જ હોય છે, જે સારા છે તેના માટે દરેક સમય સતયુગ જ છે.
છેલ્લો સીન
આપણે જો ભૂલો વિનાના હોત તો આપણને એ બીજામાં શોધવામાં આટલો બધો આનંદ ન આવતો હોત.
-લા રોચેફાઉકાઉલ્ડ.

૭ 


ભારતની અધોગતિનું કારણ … (વિવેક વાણી) …

૮ 



મને સંપૂર્ણ ખાત્રી થઇ છે કે કોઈપણ વ્યક્તિ કે પ્રજા બીજાના સહકાર વિના પોતાને અલગ રાખીને જીવી શકે નહિ.. અને જ્યારે જ્યારે મહત્તા, નીતિમત્તા કે પવિત્રતાના ખોટા ખ્યાલોથી આવા પ્રયાસો કરવામાં આવ્યા છે, ત્યારે ત્યારે તેનું પરિણામ અંતે અલગ રહેનારને સર્વદા હાનીકારક નીવડ્યું છે.
મારા ખ્યાલ પ્રમાણે ભારતનાં પતન અને અધોગતિનું એક મહાન કારણ પ્રજાની આસપાસ ઊભી કરવામાં આવેલી રૂઢીની દિવાલ છે; વળી આ દિવાલ બીજાના તિરસ્કારના પાયા ઉપર ચણાઈ હતી. જો કે પ્રાચીન કાળમાં એનો હેતુ તો હિન્દુઓને આજુબાજુની બૌદ્ધ પ્રજાઓના સંપર્કમાં આવતી અટકાવવાનો હતો.
પ્રાચીન કે આર્વાચીન વિતંડાવાદ તેના ઉપર ગમે તેવો ઢાંકપીછાડો કરે તો પણ, પોતાને નીચો પાડ્યા સિવાય કોઈ પણ વ્યક્તિ બીજાનો ધિક્કાર કરી શકે નહીં, એ નૈતિક નિયમ અનુસાર, એનું અનિવાર્ય પરિણામ એ આવ્યું કે પ્રાચીન પ્રજાઓમાં જે પ્રજા અગ્રસ્થાને હતી તે આજ નામશેષ અને નય પ્ર્જાઓથી તિરસ્કૃત બની છે. જે નિયમની પ્રથમ શોધ અને પારખ કરનાર આપણા પૂર્વજો હતા તેનો જ ભંગ કરવાના પરિણામનો ઉધાહ્ર્ણરૂપ આપને થયા છીએ.
એ નિયમ છે આપ-લેનો. અને જો ભારત પોતાને ફરીથી ઉન્નત બનાવવા માંગતું હોય તો તેણે પોતાનો જૂનો ખજાનો બહાર લાવીને દુનિયાની પ્રજાઓમાં છોટે હાથે વહેંચી દેવો જોઈએ, અને બદલામાં બીજાઓ પાસેથી તેઓ જે આપી શકે છે તે લેવા તૈયાર રહેવું જોઈએ. વિસ્તાર એ જીવન છે. સંકુચિતતા એ મૃત્યુ છે; પ્રેમ એ જીવન છે. ધિક્કાર એ મૃત્યુ છે. જે દિવસથી બીજી પ્રજાઓનો આપણે તિરસ્કાર કરવો શરૂ કર્યો, તે જ દિવસથી આપણા મૃત્યુની શરૂઆત થઇ; અને જો આપણે પાછા વિસ્તાર એટલે કે જીવન તરફ પાછા નહીં આવીએ તો આપણું મૃત્યુ કોઈ અટકાવી શકશે નહિ.
માટે આપણે દુનિયાની બધી પ્રજાઓ સાથે ભળવું જોઈએ. જેઓ વહેમો અને સ્વાર્થનાં પોટલાં જેવા છે, અને જેમના જીવનનું એકમાત્ર ધ્યેય ગમાણમાંના કૂતરા જેવું લાગે છે, તેવા સેંકડોના કરતાં જે દરેક હિંદુ પરદેશમાં મુસાફરીએ જાય છે તે પોતાના દેશને વધુ ફાયદો કરે છે. રાષ્ટીય જીવનની જે અદભુત ઈમારત પાશ્ચાત્ય પ્રજાઓએ ઊભી કરી છે તે તેમના ચારિત્ર્યના મજબૂત થાંભલાઓને આધારે ઊભી છે; જ્યાં સુધી આપણે તેવા સંખ્યાબંધ ચારિત્ર્યવાન માણસો પેદા ન કરી શકીએ ત્યાં સુધી આ કે તે સત્તા સામે બખાળા કાઢવા નિરર્થક છે.
જે લોકો બીજાને સ્વતંત્રતા આપવા તૈયાર નથી તેઓ પોતે સ્વતંત્રતાને લાયક છે ખરા ? નિરર્થક બખાળા કાઢવામાં આપણી શક્તિઓને વેડફી નાખવાને બદલે, શાંતિથી અને હિંમતથી કામે લાગી જઈએ. હું તો સંપૂર્ણપણે એમ માનું છે કે જેને માટે યોગ્ય છે તેને તે મેળવતાં દુનાયાની કોઈ પણ સત્તા રોકી શકે નહીં. ભૂતકાળ જરૂર મહાન હતો, પણ હું અંતરથી માનું છું કે ભવિષ્ય તેથીયે વધુ ઉજ્જવળ બનશે. ભગવાન શંકર આપણને પવિત્રતા, ધેર્ય અને ખંતમાં અચળ રાખો.

૯ 

એક સરસ પ્રેરણાદાયક વાર્તા !!
એક વાર એક ગામમાં અમુક પર્યટકો ફરવા ગયા હતાં. એ ગામમાં માછીમારોની વસ્તી હતી. એકવારે એક પર્યટકે અને એક માછીમાર વચ્ચે અમુક ચર્ચા થઈ જે નીચે પ્રમાણે હતી…
પર્યટક – “તમે દિવસમાં કેટલી પાછલી પકડો છો અને કેટલાં સમયમાં?”
માછીમાર – “હું ત્રણ-ચાર કલાકના ગાળામાં જેટલી માછલી પકડાય એટલી માછલી પકડું છુ”….

પર્યટક – “બસ ત્રણ-ચાર કલાક! તો તમે ઘર કેવી રીતે ચલાવો છો અને બાકીના સમયમાં તમે શું કરો?”
માછીમાર – “મારું ઘર આટલામાં બરાબર રીતે ચાલે છે અને બાકીના સમયમાં અમે થોડો આરામ કરીયે, અમારા બાળકો સાથે રમીયે, થોડો સમય અમે અમારી પત્નિ સાથે ગાળીયે અને સાંજે બધાં મિત્રો સાથે મળી નવા ગીત ગાઈયે અને ગીતાર વગાડીયે અને જિંદગીનો આનંદ લુટીયે”.
પર્યટક – “જો હું એમ.બી.એ. ભણેલો છું અને શહેરમાં મારી પાસે મારો બંગલો છે, ગાડી છે અને તમામ સુખ હાજર છે, જો તું પણ આવી રીતે સમય બગાડે એના કરતાં તું વધારે સમય માછલી પકડ અને તેને વેચીને વધારે પૈસા કમાવવાનું ચાલુ કર”.
માછીમાર – “વધારે પૈસા કમાઈ ને હું શું કરું?”.
પર્યટક – “વધારે પૈસા કમાઈને તું બીજી બોટ ખરીદી કર એટલે તું હજું વધારે માછલી પકડી શકીશ અને હજું વધારે પૈસા કમાઈ શકીશ”.
માછીમાર – “પણ હું એટલાં બધાં પૈસા કમાઈને શું કરું?”
પર્યટક – “અરે તું વધારે પૈસા કમાઈ ને તું બે ની ત્રણ અને ત્રણની ચાર બોટ અને એમ કરતાં કરતાં તારી પાસે એટલાં બધાં પૈસા થઈ જશે કે તું આ નાના ગામડાંની બહાર નીકળી મોટા શહેરમાં રહેવા આવી શકીશ અને તારી પારે ગાડી-બંગલા બધુ થઈ જશે અને પછી તું તારા પરિવાર સાથે આનંદની જિંદગી વિતાવી શકીશ”.
માછીમાર – “આ બધું કરવા માટે મને કેટલો સમય લાગશે?”.
પર્યટક – “અંદાજે ૨૦ થી ૨૫ વરસ”.
માછીમાર – “સાહેબ, મારા પરિવાર સાથે અત્યારના જ આનંદની જિંદગી વિતાવી રહ્યો છું તો શા માટે હું મારા ૨૦ થી ૨૫ વરસ બરબાદ કરું?”
આ સાંભળી પર્યટક વિચારતો રહી ગયો અને તેની પાસે આને માટે કોઈ જવાબ નહતો.
બોધ – તમે કયાં છો તે પહેલાં જુઓ કદાચ તમારી મંજીલ તમારી સાથેજ હોય અને તમે તેને બીજે શોધવામાં પડયાં હોઈ શકો
સૌજન્ય – દિનેશ રાજપૂત
 ૧૦ 

હેમલતાબેન, ઉંમર ૮૦ વર્ષ, બી.એ. એમ.એડ. ના અભ્યાસ બાદ શિક્ષિકા નો વ્યવસાય સ્વીકાર્યો અને (મુંબઈ) મેથ્સ અને સાઈન્સ સિવાયના લગભગ દરેક વિષયો શીખવતા. અનેક શાળાઓ વ્યવસાય દરમ્યાન બદલી અને શિક્ષિકા તરીકે સેવા આપ્યા બાદ, નિવૃત્તિનો સમય પસાર કરવા અને જીવનનો શેષ સમય વિતાવવા માથેરાનના પહાડોની તળેટીમાં આવેલ નેરલ માં Senior Citizen માટેની Dignity Lifestyle Townshipમાં રેહવાનું પસંદ કર્યું. હાલ આ સુંદર, શાંત, નયનરમ્ય અને સગવડમય વાતાવરણમાં શેષ જીવન પસાર કરે છે. બચપણ થી વાંચવાનો અને લખવાનો શોખ તેમને રહ્યો હતો. ખૂબજ સીધું –સાદું અને સરળ જીવન વિતાવે છે, ખાસ કોઈ જીવનમાં મેળવવાની તમન્ના ધરાવતા નથી. બધાનો પ્રેમ અને સહકાર આજ સુધી મેળવ્યો છે અને જેમને જિંદગી પ્રત્યે કોઈ જ ફરિયાદ પણ નથી. આજે આ જૈફ ઉંમરે પણ જીવનને પર્વૃતિમય રાખી અને અગાઉ વાંચેલા – અનુભવેલા અને દિલમાં ઉભરાતા ભાવોને કાગળ પર શબ્દો દ્વારા કંડારવા કોશિશ કરે છે.


ચાલો ફરી એક વાર  હેમલતાબેન દ્વારા મોકલાવેલ પોસ્ટ ’ આંસુ પવિત્ર જલધારા …’  ને અહીં માણીએ …

(આ અગાઉ આપણે હેમલતાબેનનો  લેખ અને તેમના નાના બેન બંસરીબેનના  લેખ અહીં માણેલ, આ ઉપરાંત તેમના નાના  બેન જ્યોતિબેન નો પરિચય પણ આપણે અહીં તેમના લેખ દ્વારા મેળવેલ ., જેઓ ૨૦૦૯ માં તેમના ભાંડુઓ નો અધવચ્ચે સાથ છોડી અને ઈશ્વરને પ્યારા થઇ ગયા છે.)

 





થોડાં દિવસ પહેલાં એક સુંદર –જૂની ફિલ્મ “ધર્મ”જોવાની તક મળી. ફિલ્મનો નાયક એક વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ. જેનો સમય ફક્ત શાસ્ત્રાભ્યાસ, પૂજાપાઠ અને વિદ્યાદાનમાં જ પસાર થતો હતો. સમાજમાં તેનું સ્થાન એક પ્રકાંડ તેજસ્વી પંડિતના રૂપમાં હતું. કર્મકાંડને કારણે વર્ણ અને વર્ગના ભેદ મક્કમતાથી માનતો હતો. એક દિવસ એની એકની એક પુત્રી એક અનાથ બાળકને પોતાના ઘરે લઇ આવી. પિતાના વિચારો જાણતી હતી તેથી તેણે એ બાળક બ્રાહ્મણકૂળનો છે એમ જણાવ્યું. પંડિતજીની ઈચ્છા વિરૂદ્ધ મા –દીકરીએ બાળકની દેખરેખ રાખવા માંડી. પંડિતજી પોતાને તે બાળકથી દુર રાખતા.


એક દિવસ પંડિતજી પૂજા કરતાં હતા અને બાળકે જોરશોરથી રડવા માંડ્યું. બાળકના રૂદનથી વિચલિત પંડિતજી પૂજા અધૂરો છોડી તે બાળકને શાંત કરે છે. ધીમે ધીમે પંડિતજીને પણ આ બાળક માટે લગાવ થવા માંડે છે અને તે બાળકને અપનાવી લે છે. (આંસુની શક્તિ) અત્યાર સુધી નામ વગરના બાળકને નામ મળ્યું કાર્તિકેય. હવે કાર્તિકેય ખૂબ લાડ-પ્યાર મેળવે છે. થોડો મોટો થાય છે. ત્યાં આવે છે કાર્તિકેયની મુસ્લિમ માં, જેને કારણે બાળકને હિન્દુ-મુસ્લિમ હુલ્લડના ડરથી બાળકને પંડિતજીના આંગણામાં મૂકી દીધું હતું. રડી –કકળીને તે પુત્ર મુસ્તફા –કાર્તિકેયને પોતાની સાથે લઇ જાય છે.


પંડિતજીની વિદ્વતાને કારણે બીજા ઈર્ષ્યાળુ બ્રાહ્મણો તેમને કંઈ આદુ અવળું કહે તે પહેલાં પંડિતજી પોતે જ પ્રાયશ્ચિત રૂપે વ્રત-ઉપવાસ- પૂજા ઉપાસના વગેરે કરી પોતાનું સ્થાન જમાવી રાખે છે. પણ કાર્તિકેયની યાદ તો તેમને વારે ઘડીએ સતાવે છે. એવામાં ‘શહેરમાં હુલ્લડ થાય છે અને પંડિતજી મુસ્લિમ વસ્તીમાં જઈ જાનના જોખમે ફક્ત કાર્તિકેયને બચાવતા નથી પણ હુલ્લડ રોકવામાં સફળ થાય છે. કારણ હવે તેમની ધર્મની વ્યાખ્યા બદલાઈ ગઈ હતી. આંખમાં વહેતી અશ્રુધારા સાથે તે ધર્માંધ હિન્દુઓની એ ભીડને ધર્મનું સાચું સ્વરૂપ સમજાવે છે. સફળ થાય છે. અને તેમની પાસે શસ્ત્ર ત્યાગ કરાવે છે.


આ ફિલ્મ જોઈ આંસુની શક્તિનો પરિચય થયો. ખરેખર આંસુ ઈશ્વરની દેન છે – અણમોલ. આંસુ ફક્ત આંખોમાંથી નીકળતું પાણી નથી પણ મનનો અવાજ છે. હૃદય – સાગરમાં જ્યારે ઉથલપાથલ થાય છે ત્યારે આંખોને કિનારેથી જે મોજા બહાર આવે છે તે આંસુ સમુદ્રના પાણીની જેમ તેમાં પણ ખારાશ હોય છે.


ખરેખર હૃદયમાંથી નીકળેલા આંસુ સૌથી સારા આંસુ છે. હર્ષ અથવા શોકમાં નીકળેલા દરેક આંસુ કિંમતી છે. મોટા મોટા શસ્ત્રોથી ન બનતી વાત આંસુના બે ટીપાંથી બની જાય છે. માના આંસુ, પત્નીના આંસુ, પ્રિયજનનાં આંસુ, બાળકના આંસુ, કન્યા – વિદાય વખતે માતા – પિતાના આંસુ અરે ભક્તના આંસુ પોતપોતાની ભાવનાઓ પ્રગટ કરવાનું માધ્યમ બની જાય છે. સંવેદનશીલતાની નિશાની છે. આંસુ એટલે તો કહેવાય છે કે આંસુ બહાર આવે છે ત્યારે મનનો તણાવ દૂર થાય છે. મન હલકું થઇ જાય છે. હાઈ બળદ પ્રેશર, ડીપ્રેશન દૂર થાય છે. ઘણીવાર ઊંઘ પણ સારી આવી જાય છે અને વ્યક્તિ જાગે છે ત્યારે સ્ફૂર્તિમય હોય છે. આંસુ શબ્દોની કસર દૂર કરે છે. કોઈકવાર શબ્દોથી ન થતું કામ આંસુથી થાય છે.





પ્રસંગ આનંદનો હોય કે શોકને હરખના આંસુ હોય કે શોકના પણ એમાં ચમત્કાર સર્જવાની શક્તિ છે. ખરેખર આંસુ પ્રકૃતિનો એક ચમત્કાર જ છે. કદાચ તેથી જ વરસાદને “ઈશ્વરના આંસુ” કહ્યા છે. વૈજ્ઞાનિક સત્ય ભલે કંઈ જુદું હોય પણ ખેડૂતોને મન તો વરસાદના બૂંદ એટલે ઈશ્વરની કરુણાનું પાણી.


આંસુ તો આંસુ જ છે. ભલે પછી તે ગરીબના હોય કે અમીરના, સબળના હોય કે દુર્બળનાં, પુરુષના હોય કે સ્ત્રીના. હા, તે નકલી પણ હોય – મગરના આંસુ. જેના વળે લોકો પોતાનો સ્વાર્થ સાધી લેતાં હોય છે. પ્રાયશ્ચિતનાં આંસુમાં પણ મહાન શક્તિ હોય છે. કવિ કલાપીએ કહ્યું છે ને …


“ હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું
જેમાં ડૂબકી મારી પાપી પણ પૂણ્યશાળી થાય ||”


કેટલું સહેલું હોય છે દર્દથી ઉમટેલા તે આંસુઓને સહન કરવાનું જયારે તેમાં કોઈ ભાગ પડાવે છે ? જીવનને સાર્થકતા આવી સહ-અનુભૂતિમાં વર્તાય છે. કબર કે સમાધી પર આંખોમાંથી ટપકેલા બે બુંદ આંસુ પણ આપોઆપ પૂર્ણ શ્રદ્ધાંજલિ બની જાય છે.
૧૧ 
૧) તમારા મનમાંથી દુર્બળતા 
ની છાપ ભૂસી નાંખો સાથે તમોને એક સફળ વ્યક્તિ તરીકે માનસિક રીતે જુવો. સાફલ્યનું માનસ ચિત્ર સતત નજર સમક્ષ રાખો. નિરાશાને સ્પર્શવા જ ના દો નહીતો પછી મનને જ તેવી ટેવ પડી જશે અને તમો નિષ્ફળ જશો. હું નિષ્ફળ જઈશ તેવો વિચાર જ કરશો નહિ. માનસ ચિત્રની સવિતા વિષે કદી શંકા ન કરો. શંકા સૌથી વધુ ભયાવહ છે. કારણકે મન હંમેશા જે ચિત્ર તેની સામે મુકવા મા આવ્યું હોય છે તે જ ચિત્ર પૂરું કરે છે.તેથી હંમેશા સાફલ્યનું માણસ ચિત્ર દોરો. તે સમયે પરિસ્થિતિ બળે ગમે તેટલી ચિંતા જનક હોય.

૨) તમારી પોતાની શક્તિઓ વિષે જે કઈ નકારાત્મક વિચારો હોય, તેની સામે રચનાત્મક અવાજ કરી તે દૂર કરો.

૩) તમારી પરિકલ્પના સામે અવરોધો નો વિચાર જ ના કરો. દરેક અવરોધો ને ન ગણ્ય માનો .તેનો અભ્યાસ કરી તેને કઈ રીતે પરાસ્ત કરવો તેનો વિચાર કરો.તેને માત્ર તટસ્થ રીતે જુવો. ભય ન આ વિચારો થી તેને મોટો ન બનાવો.
૪) અન્ય વ્યક્તિઓ થી પ્રભાવિત ન થઇ જાઓ. તેમજ તેમની નકલ પણ ન કરો કારણકે તમે જે છો તેવી વ્યક્તિ કોઈ અન્ય બની જ શકે નહિ.તમે પોતેજ તમે છો . ઘણા લોકો બહારથી ગમે તેટલા મજબુત હોય પરંતુ અંદર થી તો ભયભીત જ રહેતા હોય છે. કારણકે તોએઓને પોતાની વિષે જ શંકા હોય છે.
૫) રોજ દસ વખત આ શબ્દોનું રટણ કરો : ઈશ્વર આપણી તરફે હોય તો આપણી સામે કોઈ હોઈ જ કેમ શકે ? હવે તેનું આં ક્ષણ થી જ રટણ કરવાનું શરુ કરી દો.
૬) આમ છતાં કોઈ સમક્ષ સલાહકારની સલાહ લો જે તમોને શું કહ્યું ?કેમ કરવું? અને શા માટે કરવું ? તમને સમજાવે તમારી લઘુતા ગ્રંથી નું મૂળ શોધી કાઢો. તમારી પોતાની ઉપર થતી શંકાનું મૂળ શોધો. ઘણી વખત તે બાળપણ થી જ પ્રવેશી ગયા હોય છે.તેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરો જેથી તેનો ઈલાજ મળી જશે.
૭) દરરોજ ૧૦ વખત આમ રટો ( બને તેટલી મોટેથી) : હું દરેક કાર્ય કરી જ શકીશ કારણકે ઈશ્વર મને બળ આપે છે અત્યાર થી જ આં શબ્દોનું રટણ કરો.
૮)તમારી પોતાની શક્તિઓનું સાચું માપ કાઢો. પછી તે ૧૦% વધારો પણ કડી ઘમંડી ન બનશો. પરંતુ સર્વગ્રાહી સન્માન જરૂર કેળવો.તમારી ઈશ્વરે આપેલી શક્તિ વહેવા દો.
૯) તમોને ઈશ્વરના હાથ મા રહેવા દો કહો કે : હું ઈશ્વર ના હાથમા છું. સાથે એમ માનો કે તમારે જે જોઈએ છીએ તે તમામ શક્તિઓ તમારા હાથ મા છે અને તે અત્યારે તમને મળી રહી છે.
૧૦) યાદ રાખો તમારામા ઈશ્વર બેઠો છે. તેથી કોઈ તમને પરાજીત કરી જ ન શકે. આં ક્ષણમા વિશ્વાસ રાખો.તેના માંથી શક્તિ મેળવો.
- “ ધ પાવર ઓફ પોસીટીવ થીન્કીંગ” માંથી 

જીવન મા આ સિદ્ધાંતો નો એક વાર પ્રયોગ કરી શકાય. અને ઘણી બધી હતાશાઓને દૂર કરી શકાય.

૧૨ 

આ જે લેખ લખ્યો છે તે કોઈને બદનામ કરવા કે દ્વેષથી નથી લખ્યો. ઘણા એવા સજ્જન ડોક્ટરો હોય છે જેમને આ બધું નથી ગમતું. છતાં ગુપચુપ આ બધું જોયા કરવું પડે છે. આજે પણ જે સારા ડોક્ટરો છે તેમને તેમના બધાજ દર્દીઓ યાદ કરે છે. એવા એક પરોપકારી અને ગાંધીવાદી સુરતના વાડીફળીયાવાળા ડો.નાગરવાડીયાને એનો કોઇપણ પેશન્ટ જિંદગીભર ભૂલી નહી શકે. પોતાની કારમાં દસ જ રૂપિયા વિઝીટ ફી લઈને દર્દીને જોવા જતા હતા. જમવાનું પણ તેમના પત્ની કારમાં ખવડાવતા હતા જે મેં નજરે જોયું છે (આ તો ૧૯૭૦ની સાલની વાત છે). તમે જો સીરીયસ માંદગી વગર ઘરે બોલાવો તો તમારું આવી બન્યું સમજો. ભારતમાં ખૂણે ખૂણે આવા કંઈ કેટલા ડોક્ટરો સેવા આપી રહ્યા છે. જેને લઈને આપણા દેશમાં ડોક્ટરનું સ્થાન એક મુઠ ઊંચું હોય છે. આવા જે સજ્જન ડોક્ટરો છે તેમને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ.

.

લેખ વાંચવા માટે નીચેની લીંક ક્લીક કરો

.

ભારતમાં ડોક્ટરો દર્દીઓને કઈ રીતે લુટે છે



No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE